Latest News

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિતિમાં રાજકોટ-મોરબી જિલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ ગોંડલ ખાતે યોજાયો

    મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રના ખેડૂતોની પાણીની ચિંતા બાબતે સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો સત્વરે ‘‘સૌની’’ યોજના મારફતે ભરવાની ખાત્રી ઉચ્ચારી હતી તથા પાણીને લઇને સૌરાષ્ટ્રનાં ખેડૂતો પરેશાન નહીં થાય એવી હૈયાધારણા ખેડૂતોને પાઠવી હતી.

    ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલા રાજકોટ-મોરબી જિલ્લાના સંયુક્ત કૃષિ મહોત્સવનો મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ કૃષિકારોના સમૂહને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યભરના ખેડૂતો માટે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે સવા લાખ કૃષિ વીજ જોડાણો મંજૂર કરવાની દિશામાં કાર્ય કરી રહી છે. વર્ષ ૨૦૧૩ સુધીના તમામ પેન્ડીંગ વીજ જોડાણ ૨૦૧૭ ના અંત સુધીમાં પૂર્ણ કરી દેવા મુખ્યમંત્રીશ્રીએ અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપવા સાથે વીજળી-પાણી-બજાર-પાકવીમો—ટેકાના ભાવે ખરીદી, વગેરે બાબતે રાજ્ય સરકારે લીધેલા પગલાંની વિગતો આપી કૃષિકારોને સવલતો આપવામાં રાજ્ય સરકાર કોઇ કચાશ રાખશે નહીં તેમ ઉમેર્યુ હતુ.

    ખેડૂતોની સમૃદ્ધિ થકી જ રાજ્યની સમૃદ્ધિ સાધી શકાશે એવો આશાવાદ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ પાણીના દુકાળને ભૂતકાળ બનાવવા માટેની સરકારની કાર્યશૈલીની વિસ્તાર પૂર્વક રજૂઆત કરી હતી.

    ‘‘ અયોધ્યામે રામ, યુવાઓકો કામ, કિસાનો કો સહી દામ, મહંગાઇપે લગામ’’ એવી કાવ્યસભર વાત કરતાં મુખ્યમંત્રીશ્રી લાગણીસભર થઇ ગયા હતા અને રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયત્નો કરી છૂટશે, એવી બાંયધરી શ્રી રૂપાણીએ ઉપસ્થિત ખેડૂતોને આપી હતી.

    કૃષિ મહોત્સવના માધ્યમ થકી રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તથા કૃષિ વૈજ્ઞાનિકો રાજ્યના ખેડૂતોને માર્ગદર્શન આપે છે. તે રાજ્યના કૃષિ વિકાસનું અગત્યનું પગલું છે, એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આ તમામ મહાનુભાવોએ ધોમધખતા તાપમાં લીધેલી ખેડૂતોની કાળજીને બિરદાવી હતી અને તેમના જ્ઞાનનો લાભ લેવા ખેડૂતોને ભલામણ કરી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને કપાસ-મગફળી-કઠોળ-ફળ વગેરેના ઉત્પાદનમાં વૈશ્વિક ધોરણે નિકાસ કરવાની શુભેચ્છા પાઠવી હતી અને આ માટે રાજ્ય સરકારના તમામ સહયોગનું વચન આપ્યું હતું.

    મુખ્યમંત્રીશ્રી રૂપાણી સભાસ્થળે ખુલ્લી જીપમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા સાથે આવી પહોંચ્યા ત્યારે ઢોલ નગારા અને રાસની રમઝટ સાથે પારંપરિક ઢબે તેમનું અદકેરૂ સ્વાગત કરાયું હતું. કુમારીકાઓએ અક્ષત કુમકુમ વડે મુખ્યમંત્રીશ્રી સહિત તમામ મહાનુભાવોને સત્કાર્યા હતા.

    આમંત્રિતોના હસ્તે દિપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ ધારાસભ્યશ્રી જયરાજસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીને શાલ તથા સ્મૃતિ ચિહ્ન ગોંડલ તથા મોરબીના અગ્રણી નાગરિકોએ અર્પણ કર્યા હતા.

    મુખ્યમંત્રીશ્રીએ ગોંડલ નગરપાલિકા દ્વારા નિર્માણ થયેલ સીસી રોડ તથા ગોંડલ શહેરની ભૂગર્ભગટર યોજનાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ખાત મૂહુર્ત કામોનું ડીઝીટલ તકતી અનાવરણ કર્યું હતું તથા કૃષિ પ્રદર્શન અને સેમિનારની મુલાકાત લઇ ભાવ પૂર્વક ગૌ પૂજન કર્યું હતું.

    કેન્દ્રીય ફુડ પ્રોસેસીંગ વિભાગના રાજ્યમંત્રી સુશ્રી નિરંજન સાધ્વીજીએ ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો દેશના અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા છે. રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારે અમલી બનાવેલી વિવિધ કૃષિ કલ્યાણલક્ષી યોજનાઓની મંત્રીશ્રીએ સરાહના કરી હતી અને રાજ્યમાં થઇ રહેલા ખેતીના વિકાસ બદલ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.

    કેન્દ્રીય ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રીશ્રી રામકૃપાલ યાદવે રાજ્ય સરકારના કૃષિ વિકાસ પ્રત્યેના અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે, રાજ્યના ૧૮૦૦૦ ગામડાઓ માટે કૃષિ મહોત્સવ ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો છે, ખેડૂતોને ખેતી માટે પ્રોત્સાહન મળ્યું છે તથા કૃષિ ઉત્પાદન ક્ષેત્રે નેત્રદિપક પ્રગતિ નોંધાઇ છે જે કૃષિ મહોત્સવની સફળતાના અગત્યાના પુરાવા છે.     

    કૃષિ અને ઉર્જા મંત્રીશ્રી ચિમનભાઇ સાપરિયાએ પ્રાસંગીક પ્રવચનમાં રાજ્ય સરકારે કૃષિકારોના કલ્યાણ માટે લીધેલા પગલાઓની સવિસ્તર માહિતી રજૂ કરી હતી. વીજળી, પાણી, ટેકાના ભાવે ખરીદી, સબસીડી, વગેરે બાબતો અંગેની રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ રાજ્યને વિકાસના પથ પર અગ્રેસર બનાવવા તેમણે ખેડૂતોને હાકલ કરી હતી.

    ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ જનસુખાકારી માટે મુખ્યમંત્રીશ્રીએ લીધેલા નિર્ણયોની સરાહના કરી હતી અને સમગ્ર સમાજને જાગૃત બની પ્રગતિના પથ પર સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

    પંચાયત અને ગ્રામગૃહ નિર્માણ રાજય મંત્રીશ્રી જેન્તીભાઇ કવાડીયાએ કૃષિ મહોત્સવને ખેડૂતો માટે પથ દર્શક ગણાવ્યો હતો અને ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે કૃષિ માટે મહત્તમ નાણાની ફાળવણી કરી છે, જે રાજ્ય સરકારની ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પૂરાવો છે.

    આ પ્રસંગે કૃષિ રાજ્યમંત્રીશ્રી વલ્લભભાઇ વઘાસીયા તથા સાંસદશ્રી વિજયભાઇ રાદડીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ધારાસભ્યો સર્વશ્રી પ્રવિણભાઇ માકડીયા, કાંતિભાઇ અમૃતિયા, ભાનુબેન બાબરીયા તથા બાવનજીભાઇ મેતલીયા, ગોંડલ માર્કેટીંગ યાર્ડના પ્રમુખશ્રી જેન્તીભાઇ ઢોલ, અગ્ર સચિવશ્રી સંજય પ્રસાદ, રાજકોટ કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડે, મોરબી કલેક્ટરશ્રી પટેલ, બંને જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખો તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ખેડૂત ગણ ઉપસ્થિત રહ્યા હતા

    Source: Information Department, Gujarat