Latest News

CM Holds High Level Meeting for Celebrations of International Yoga Day in Gandhinagar

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીઃ

તા. ર૧ જૂન આંતરરાષ્ટ્રિય યોગ દિવસ ઉજવણી કાર્યક્રમોને આખરી ઓપ આપ્યો

……

‘માનવતા માટે યોગ’ની થીમ સાથે રાજ્યમાં મહાનગરો-જિલ્લા-તાલુકા-ગ્રામ કક્ષાએ આંતરરાષ્ટ્રિય યોગ દિવસ ઉજવાશે

રાજ્યકક્ષાના યોગ દિવસ કાર્યક્રમમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૭પ૦૦થી વધુ નાગરિકો યોગમય બનશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસ્કૃતિક બાબતો અને રમત-ગમત વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવી સહભાગી થશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના ૭પ આઇકોનિક પ્લેસીસ પર સામુહિક યોગ થશે

મોઢેરા-અંબાજી સહિત ૧૭ ધાર્મિક સ્થળો-૧૮ ઐતિહાસિક સ્થાનો-કચ્છના રણ અને રર પ્રવાસન ધામો-સાપુતારા-માનગઢ સહિત ૧૭ કુદરતી સૌન્દર્ય ધામ અને સાયન્સ સિટીમાં યોગ દિવસની ઉજવણી થશે

…..

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રેરણા સંદેશનું જીવંત પ્રસારણ કરાશે

…….

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આગામી ર૧મી જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આ હેતુસર ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.

આ વર્ષના આંતરરાષ્ટ્રિય યોગ દિવસની મુખ્ય થીમ ‘યોગ ફોર હ્યુમેનિટી’  ‘માનવતા માટે યોગ’ રાખવામાં આવેલી છે.

આંતરરાષ્ટ્રિય યોગ દિવસની રાજ્યકક્ષાથી લઇને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરની ઉજવણીમાં અંદાજે સવા કરોડ લોકોને યોગમય બનાવી આ દિવસની ઉજવણી કરવા રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યુ છે.

આ સમગ્ર આયોજનની તલસ્પર્શી છણાવટ તથા સંબંધિત તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, પંચાયત, મહેસૂલ, આરોગ્યના તથા મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી, પ્રવાસન, પ્રાથમિક શિક્ષણ અને રમત-ગમતના અગ્ર સચિવશ્રીઓ સહિત ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શીશપાલજી અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.

યોગ દિવસે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાવાનો છે. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રીશ્રી અને રાજ્યના રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાશે. લગભગ ૭પ૦૦ થી વધુ લોકો આ કાર્યક્રમમાં યોગ માટે જોડાશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં વર્ચ્યુયલ ઉપસ્થિત રહી પ્રેરણાદાયી સંબોધન કરશે તેનું જીવંત પ્રસારણ યોગ દિવસની ઉજવણીના તમામ સ્થળોએ કરાશે.

આઝાદી કા અમૃત મહોત્સવ-સ્વતંત્રતાના ૭પ વર્ષ અંતર્ગત આ વર્ષનો વિશ્વ યોગ દિવસ ગુજરાતમાં કુલ ૭પ આઇકોનીક સ્થળોએ પણ ઉજવવામાં આવશે તેમ બેઠકમાં રમત-ગમત અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું.

રાજ્યમાં મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત ૧૭ ધાર્મિકસ્થળો, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત ૧૮ ઐતિહાસિક સ્થાનો, કચ્છના રણ સહિત રર પ્રવાસન ધામો, માનગઢ હિલ અને સાપુતારા હિલ સહિત ૧૭ કુદરતી સૌન્દર્ય ધામો અને સાયન્સસિટી ખાતે આ દિવસે સામુહિક યોગ સાધના કાર્યક્રમ થવાના છે.

રાજ્યનાં અન્ય મહાનગરોમાં યોગદિવસની ઉજવણી ભાવનગરના જવાહર ગ્રાઉન્ડ, જામનગરના રણમલ તળાવ, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ, વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસ અને સુરતના વનીતાઆશ્રમ ખાતે કરવામાં આવશે.

આ વર્ષે યોગ ને પ્રવાસન સાથે જોડીને  રાજ્યના પ્રવાસનને પણ વેગ આપવાનું આયોજન રાજ્ય સરકારે કરેલું છે તેની વિગતો તેમણે આપી હતી.

રાજ્યમાં યોગદિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમ જ શાળાઓ, આઈ.ટી.આઈ., આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ કરવામાં આવશે. જિલ્લાદીઠ ૩૦૦૦ લોકો સહિત અંદાજે ૯૯૦૦૦ લોકો જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે.

અમદાવાદનું શાંતિગ્રામ અદાણી, કચ્છનું સફેદ રણ, મહેસાણાનો ધરોઈ ડેમ અને નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે આઈકોનિક સ્થળો ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થશે.

તાલુકા કક્ષાની ઉજવણીમાં તાલુકાદીઠ ૫૦૦ લોકો સહિત અંદાજે ૧,૨૫,૫૦૦ લોકો ભાગ લેશે. ગામ દીઠ ૨૫ લોકો યોગદિવસની ઉજવણીમાં જોડાશે. તેથી કુલ ૪,૫૫,૬૫૦ લોકો ગ્રામીણ કક્ષાની ઉજવણીમાં જોડાશે.

શિવરાજપુર બીચ અને કચ્છનું નાનું રણ આ બે આઈકોનિક સ્થળોએ તાલુકા કક્ષાની ઉજવણી થશે.

રાજ્યની ૪૫,૦૦૦ પ્રાથમિક શાળાના ૮૪,૬૫,૦૦૦ વિદ્યાર્થીઓ તેમ જ ૩,૨૩,૦૦૦ શિક્ષકો યોગદિવસની ઉજવણીમાં જોડાશે.

૧૨,૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૮,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૮૯,૦૦૦ શિક્ષકો આ ઉજવણીમાં જોડાશે.

૨૬૦૦ યુનિવર્સિટી-કોલેજીઝના ૧૬,૧૪,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૬૦,૦૦૦ અધ્યાપકો યોગદિવસની ઉજવણીમાં સહભાગી થશે.

રાજ્યની ૨૮૭ આઈ.ટી.આઈ.દીઠ ૧૦૦ વિદ્યાર્થીઓ એમ કુલ ૨૮,૭૦૦ વિદ્યાર્થીઓ યોગદિવસની ઉજવણીમાં જોડાશે. રાજ્યના ૧૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૬૫૦૦ પેટાકેન્દ્રો પર કુલ ૧૨,૭૦,૪૦૦ લોકો યોગ કરશે.

આ સમગ્ર કાર્યક્રમોની રાજ્યવ્યાપી સુચારૂ ઉજવણી માટેના સંકલન અંગે જિલ્લાકક્ષાએ કલેકટરશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ દ્વારા સ્થાનિક સ્વૈચ્છિક સંગઠનો, સામાજિક સંગઠનો સાથે બેઠકો યોજવામાં આવી રહી છે.

Source: Information Department, Gujarat