: મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી :
………………….
આર્સોડિયા ગામના ચોરે બેસી મુખ્યમંત્રીશ્રી નો ગ્રામજનો સાથે સહજ સંવાદ
………………….
કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર ની મુલાકાત લઈ
સુવિધાઓની જાત માહિતી મેળવતા શ્રી વિજય ભાઈ રૂપાણી
………………….
મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના ગામોને કોરોના મુક્ત રાખવા અને કોરોનાની આ બીજી લ્હેર પર જનશકિતના સહયોગ અને રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓના વ્યાપ દ્વારા કોરોનાને પરાસ્ત કરવા જે જોઇશે તે કરીને, સુવિધા નહિ હોય તો ઊભી કરીને પણ કોરોના સામેનો આ જંગ જીતવાનો પ્રબળ આત્મવિશ્વાસગાંધીનગરના કલોલ તાલુકાના આરસોડિયા ગામ ખાતે મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત નિર્માણ કરવામાં આવેલા કોવિડ કોમ્યુનિટી સેન્ટરની મુલાકાત દરમ્યાન વ્યક્ત કર્યો હતો
મુખ્યમંત્રીશ્રીએ કોમન મેન સી.એમ. તરીકે ગ્રામજનો સાથે ગામના ચોરામાં બેસીને કોરોના પ્રોટોકોલ નિયમોના પાલન સાથે સહજ સંવાદ કર્યો હતો અને આરસોડિયા ગામ ની વિગતો જાણી હતી.
કોરોના સંક્રમણની બીજી લેહર પડકાર રૂપ છે, તેવું કહી મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ પ્રકારની મહામારી સદીમાં એક વખત આવતી હોય છે. ગત સદીમાં 1920માં સ્પેનિશ ફ્લ્યુ નામની મહામારી આવી હતી. તે સદીમાં કયાં આટલી મેડિકલ સુવિધા કે ર્ડાકટરો હતા, તેમ છતાં તે મહાબિમારીને નાથવામાં માનવ જાત સફળ રહી હતી.આજે કોરોનાને હરાવવા આપણી પાસે અનેક મેડિકલ સેવાઓ દવાઓ ઉપલબ્ધ છે એટલે કોરોના સામે આપણી જીત નિશ્ચિત છે એમ તેમણે કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, કોરોનાની પ્રથમ લેહર વખતે આપણી પાસે વેક્સિન ન હતી. તેમજ બિમારી નવી હોવાથી તેના ચોક્કસ નિદાન માટે શું કરવું તે વાતથી ર્ડાકટરો મૂંઝવણમાં હતા. પરંતુ બીજી લહેર વખતે દેશમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. તેમજ કોરોનાના સારવાર અને નિદાન પધ્ધતિ યોગ્ય રીતે કરવામાં આવી રહી છે.
કોરોના સામેની આ લડતમાં આપણે થાકવું નથી, હારવું નથી અને નિરાશ પણ નથી થવું તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ કોરોનાની લહેર વખત આપણને દરરોજ ૨૫૦ મેટ્રિક ટન ઓકિસજનની જરૂરિયાત હતી. પણ આજે બીજી લહેરમાં સંક્રમણ વધતા દરરોજ ૧ હજાર મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ છે. તે માટે પણ રાજય સરકારે સુચારું આયોજન કર્યું છે. રાજ્યની હોસ્પિટલોમાં ઓકસીજન સપ્લાય સતત અવિરત મળતો રહે છે તેમ તેમણે ઉમેર્યું હતું
તેમણે ઓક્સિજન હોસ્પિટલમાં ખૂટી જવાને કારણે કોરોનાના દર્દીઓના મૃત્યૃ થયા હોય તેવી કોઇ ધટના રાજયમાં બની નથી, તેવું કહી ઉમેર્યું હતું કે, ૪૦ દિવસમાં રાજયમાં ૫૫ હજાર આઇ.સી.યુ. અને ઓક્સિજનની સુવિધા વાળા બેડ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ તા. ૧૫ માર્ચ, ૨૦૨૧ પહેલા રાજ્યમાં હોસ્પિટલોમાં ૪૧ હજાર બેડ હતા, જે બેડની સંખ્યા આજે એક લાખની કરવામાં આવી છે. મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટરમાં રાજયમાં વધુ એક લાખ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.
આજના દિવસમાં હોસ્પિટલોમાં બેડ નથી તેવી સ્થિતિ આપણે નિવારી શક્યા છીએ. તેમણે કહ્યું હતું કે, રેમડેસિવિરની સમગ્ર દેશમાં તાકીદની જરૂરિયાત છે, તેમ છતાં એક માસમાં ૭ લાખ જેટલા રેમડેસિવિરની વ્યવસ્થા કરીને ગુજરાતમાં કોરોનાના અનેક દર્દીઓના જીવન બચાવ્યા છે.
મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે ક્યાંય મેડિકલ સ્ટાફની પણ ઘટ ના પડે તે હેતુથી ડોક્ટર્સ નર્સ પેરમેડીક સ્ટાફ વેગેરેની ભરતી માટે રાજ્ય સરકારે જિલ્લા કલેકટરો ને સત્તા આપી છે. એટલું જ નહિ રાજય સરકાર દ્વારા ફેબી ફ્લ્યું સહિતની જરૂરી દવાઓનો રાજયના તમામ પી.એચ.સી. અને સી.એચ.સી.માં પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવી દીધો છે. અનેક પ્રજાલક્ષી નિર્ણયો કરીને કોરોના સામેનો જંગ જીતીશું, તેવો આત્મ વિશ્વાસ લોકોને આપ્યો છે. બીજી લહેરમાં હવે છેલ્લા બે ત્રણ દિવસથી કોરોના કેસો ઘટી રહ્યા છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ત્રીજી લહેરના સામના માટે પણ સરકારે આગોતરી તૈયાર કરી છે.
તેમણે છેલ્લા એક વર્ષથી કોરોના જંગમાં સતત ખડેપગે સેવા આપતાં ર્ડાકટર, નર્સો અને પેરામેડિકલ સ્ટાફને સેવાની પ્રશંસા કરી હતી. તેમજ આ સેવાકીય કાર્યમાં જીવ ગુમાવનાર સર્વે પ્રથમ હરોળના કોરોના વોરિયર્સને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.
શહેરમાં કેસ ઘટી રહ્યા છે પરંતુ હવે ગામડામાં કેસ વધી રહ્યા છે, તેની ચિંતા વ્યક્ત કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો સ્પષ્ટ નિર્ધાર છે કે, ગામડાઓ ને કોરોના સંક્રમણથી બચાવવા છે. રાજય સરકાર દ્વારા રાજયના સ્થાપના દિવસથી મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લોકોની જાગૃતિ ગ્રામજનોના સહયોગ અને રાજ્ય સરકારની આરોગ્ય સેવા વ્યાપ વધારીને આ અભિયાન થકી ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ ધટાડી શકાશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
કોરોનાની પ્રથમ લહેર માં ગામડાઓએ પ્રવેશ બંધી નાકાબંધી જેવા ઉપાયો થી ગામોમાં કોરોના પ્રવેશવા દીધો નહોતો. આ વખતે પણ ગામના દરેક ઘરનું સરવેલન્સ થાય સામાન્ય તાવ શરદી ખાંસી જેવા લક્ષણો ધરાવનારા લોકોના ટેસ્ટ થાય અને પોઝિટિવ લોકોને ગામના જ કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટરમાં આઇસોલેટ કરી કોરોના ગામમાં વધતો અટકાવી શકાય તે માટે મુખ્યમંત્રીશ્રી એ ગામના અગ્રણીઓ યુવાઓને સૂચનો કર્યા હતા.
રાજયના તમામ ગામના ગ્રામજનોને માસ્ક અવશ્ય પહેરવાની અને કોરોના ગાઈડ લાઇનના નિયમો પાળવાની નમ્ર ભાવે અપીલ કરતા મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગામડાઓ સહિયારો સંકલ્પ કરશે તો આપણે કોરોના સામેનો જંગ ચોક્કસ જીતીશું.
તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે, કોરોના સામે બચાવનું અમોધ શસ્ત્ર વેક્સિન જ છે ત્યારે તમામ ગ્રામજનો વેક્સિન લઇલે અને પોતાને સુરક્ષિત રાખે. મુખ્ય મંત્રીશ્રીએ કોરોના ને ગામમાં જ અટકાવી દેવાના નિર્ધાર સાથે ગ્રામજનો અને અગ્રણીઓને ગામના કોઈ પણ વ્યક્તિને શરદી, તાવ અને ઉધરસની અસર હોય તો કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી હતી. તેમજ આવા વ્યકિત જો પોઝિટિવ હોય તો ઘરના કે પરિવારના અન્ય સભ્યને સંક્રમિત ન કરે તે માટે તેમને કોવિડ કોમ્યુનિટી સેન્ટરમાં રાખવાથી થતાં ફાયદાઓની વાત પણ દષ્ટાંતપૂર્વક સમજાવી હતી.
ગામની પાણી સમિતિના ચેરમેન શ્રી ભીખાભાઇએ જણાવ્યું હતું કે, કોરોના મુક્ત ગામ બનાવવા માટે ગામના સર્વે ગ્રામજનો સંગઠિત થઇને કામ કર્યું છે. આ કામને સાર્થક કરવા માટે જિલ્લા વહીવટી તંત્રની ઉત્તમ સુવિધા મળી છે. તેમજ દર્દીઓ સહિત ગામમાં નિયમિત ઉકાળા અને અન્ય જરૂરી દવાની સુવિધા મળી રહી છે. આ ઉત્તમ કાર્ય થકી કોરોના મુક્ત ગામ બનાવીશું તેવો અમને આત્મ વિશ્વાસ આવી ગયો છે
ગામની સેવા સહકારી સંસ્થાના ચેરમેન શ્રી રમેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, જે ગ્રામજનોને આ કોમ્યુનિટી કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે તેમની જમવાની વગેરે સુવિધા ગ્રામજનો ની સમિતિ સાથે મળીને કરી રહી છે. આ સેન્ટર શરૂ કરવાના કારણે કોરોના પોઝિટીવના દર્દીના પરિવારજનો સંક્રમિત થતા અટકયા છે. જેથી ઘીરે ઘીરે ગામમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને ગામ કોરોના મુક્ત ગામ ચોક્કસ બનવાનું જ છે.
મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગ્રામજનો સાથે ચોરામાં સંવાદ કર્યા બાદ સેન્ટર ની રૂબરૂ મુલાકાત કરી હતી. કરીને સેન્ટરની સુવિધાઓ નીવિગતો મેળવી હતી.
આ પ્રસંગે ગ્રામ વિકાસ કમિશનર શ્રી વિજય નહેરાએ જણાવ્યું હતું કે, કોરોનાની પડકાર જનક પરિસ્થિતિમાં મહાનગરોમાં કોરોના કેસ ઘટી રહ્યા છે. પરંતુ ગામડાઓમાં કોરોના કેસ ન વધે તે માટે રાજય સરકાર દ્વારા રાજયના સ્થાપના દિવસથી “ મારું ગામ કોરોના મુક્ત ગામ ”નો નવીન અભિગમ રજૂ કરવામાં આવ્યો છે.
આ અભિગમમાં ત્રણ – ચાર દિવસમાં સમગ્ર રાજયમાં ૧૫ હજાર થી વધુ કોવિડ કોમ્યુનિટી સેન્ટરો ઉભા થયા છે. ૧ લાખ ૩૫ હજાર બેડની સુવિધા ઉભી થઇ છે. કોરોનાને નાથવા માટેનો સર્વેશ્રેષ્ઠ ઉપાય છે ટ્રેસીંગ, ટેસ્ટીંગ અને સર્વેલન્સ. તેમણે કોરોનાથી સંક્રમિત વ્યક્તિઓ ઘરે રહે તેના કરતા આ સેન્ટરમાં રહે તો ગામમાં સંક્રમણ આપો આપ ધટશે. તેમજ જરૂરી આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે.
જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, આરસોડિયા ગામમાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૪૩૩ જેટલા વ્યક્તિઓ શંકાસ્પદ માલૂમ પડયા હતા. જેમાંથી ૩૦૭ વ્યક્તિઓનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જૈ પૈકી ૯૭ લોકોને કોરોના પોઝિટીવ માલૂમ પડયો હતો. જેમને યોગ્ય સારવાર મળતા આજે ગામમાં માત્ર ૧૯ વ્યક્તિ કોવિડ સેન્ટરમાં હતા. જે પૈકી આજે માત્ર આઠ કોરોનાના દર્દી આ સેન્ટરમાં સારવાર હેઠળ છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી શાલીની દુહાન, કલોલ પ્રાંત અધિકારી શ્રી એ.ડી.જોષી સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat