રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું ડીએમકે ગ્રુપ તથા નરસિંહનગર યુવા સોશ્યલ ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું . આ તકે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જાતિપાતિના ભેદભાવ ન રહે અને સામાજિક સમરતા વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના બનાવી છે.
તેમણે કહ્યું કે રાજ્ય સરકારે માત્રા કાગળ ઉપર વાતો કરવાના બદલે નક્કર યોજનાઓ બનાવી દલીતોના સર્વાંગી વિકાસ માટે તેને અમલી કરી છે. દલીતોના કલ્યાણ માટે ચલાવવામાં આવતી યોજનાઓ પૈકી ૧૨ યોજનાઓને બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના નામ સાથે જોડવામાં આવી છે.
શ્રી રૂપાણીએ જણાવ્યું કે બાબા સાહેબ ચિંધેલા માર્ગ શિક્ષિત બનો, સંગઠિત બનો, એને રાજ્યના દલીતો ચરીતાર્થ કરી શકે એ માટે શૈક્ષણિક અને આર્થિક ઉત્થાનના પગલાં લીધા છે. દલીતો કુશળ ઉદ્યોગકાર બની શકે એ માટે રાજ્યની જીડીઆઇડીમાં પ્લોટ અનામત રાખવામાં આવે તેવી જોગવાઇ કરવામાં આવી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી સબસીડી સાથે લોન પણ આપવામાં આવે છે. અતિપછાત આર્થિક વિકાસ નિગમનું નામ બદલીને આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે અનુસૂચિત જાતિના છાત્રોને અભ્યાસમાં આર્થિક સહાય, છાત્રવૃત્તિ, ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી છાત્રાઓને રૂ. પાંચ લાખ સુધીની સહાય આપવામાં આવે છે. દલિત યુવાનો શિક્ષિત બની દેશની સેવા કરે, એવું આહ્વાન શ્રી રૂપાણીએ કર્યું હતું.
બાબા સાહેબ આંબેડકર માત્ર દલીતોના નહીં, સમગ્ર રાષ્ટ્રના નેતા છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભે ડો.બાબા સાહેબની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું.
ડીએમકે ગ્રુપના શ્રી અમરશીભાઇ મકવાણાએ શબ્દોથી સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે દલિત સમાજની તેજસ્વીછાત્રાઓને લેપટોપ આપવામાં આવ્યા હતા.
વિવિધ સંગઠનો અને આગેવાનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ આ વેળાએ તેમની સાથે ધારાસભ્યશ્રી સર્વશ્રી ભાનુબેન બાબરીયા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, મ્યુની. ફાઇનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, નાયબ મેયર શ્રીમતી દર્શિતાબેન શાહ, અગ્રણી સર્વશ્રી નીતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશ મીરાણી, શ્રી અયોધ મકવાણા, શ્રી નૈચી મકવાણા, કલેકટરશ્રી ડો. વિક્રાંત પાંડે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat