કોરોના વિરોધી રસી ઝુંબેશમાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતે કોરોનાનો મક્કમતાથી મુકાબલો કર્યો: મુખ્યમંત્રીશ્રી
ઝાયડસ કોર્પોરેટ પાર્ક ખાતે “ટુ ગેધર વી ફલાય” જાહેર કલાકૃતિને ખુલ્લી મુકતા ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
———–
અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત ઝાયડસ કોર્પોરેટર પાર્ક ખાતે “ટુ ગેધર વી ફલાય” જાહેર કલાકૃતિને ખુલ્લી મુકતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રસીકરણ ઝુંબેશમાં ગુજરાત અગ્રેસર છે અને અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં સાડા સાત કરોડથી વધારે ડોઝ અપાઇ ચૂક્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામેની લડાઈમાં થાક્યું હતું ત્યારે ભારતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મક્કમતાથી મુકાબલો કર્યો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગૌરવભેર જણાવ્યું હતું કે, આજે જે ભૂમિ પર થી હું વાત કરી રહ્યો છું તે જ ભૂમિ પર કોરોના વિરોધી સ્વદેશી વેક્સિન વિકસાવવામાં આવી છે જેનોઆપણને સૌને ગર્વ છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે , “ટુ ગેધર વી ફલાય “નો સંદેશો દર્શાવે છે કે આપણે નાના પ્રયાસોથી મોટા પરિવર્તનો આણી શકીએ છીએ.આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કોવીડ કાળમાં આપદ ધર્મ તરીકે ફરજ બજાવનારા તબીબો અને આરોગ્યકર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તબીબો અને આરોગ્ય કર્મીઓની પીઠ થાબડતા કહ્યું કે તબીબો અને આરોગ્ય કર્મીઓની સમર્પિત ભાવના કારણે જ કોરોનાને કાબુમાં રાખવામાં આપણને સફળતા પ્રાપ્ત થઇ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિશ્વાસપૂર્વક કહ્યું કે “હારશે કોરોના, જીતશે ગુજરાત” નો સંકલ્પ આપણે સૌ સાથે મળીને સાકાર કરીશું.
આ અવસરે ઝાયડસના શ્રી પંકજભાઈ પટેલે જણાવ્યું હતું કે , અમારી કંપની દ્વારા હંમેશા સામાજિક દાયિત્વ અને પ્રાથમિકતા આપવામાં આવી છે. અને કોવીડ કાળમાં પણ અમે સામાજિક દાયિત્વ નિભાવ્યું છે. તેમણે કહ્યું કે કોવીડ કાળમાં જરૂરી દવાઓ ગુજરાત અને ભારતમાં ઉત્પાદિત થઈ છે જે ભારતીય પ્રતિભા દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે પંદર હજાર જેટલી અનન્ય અભીવ્યક્તિ સાથેની આ ટુ ગેધરવી ફ્લાય કલાકૃતિ 262 ફૂટ પહોળી અને ૮૫ ફૂટની ઊંચાઈ ધરાવે છે, જે ઝાયડસ ગ્રુપના આઇકોનિક કોર્પોરેટ પાર્કની બાહ્ય દિવાલ પર મૂકવામાં આવી છે.
ઝાયડસ પ્રમોટર્સ કુટુંબના કલામર્મજ્ઞ ડિઝાઈનર અને ઉદ્યોગ સાહસિક શ્રીમતી મેહા પટેલ અને કોરોના કવીલ્ટપ્રોજેક્ટ ના ફાઉન્ડર શ્રીમતી દિયા મહેતા ભોપાલ અને શ્રીમતી નેહા મોદી દ્વારા આ વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિશ્રીઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat