મુખ્યમંત્રીશ્રી:
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પતંગોત્સવ-ઉત્તરાયણને સામાજિક સમરસતા-સૌહાર્દનું એકતાપર્વ વર્ણવ્યું છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયપાલ શ્રી ઓ.પી.કોહલી અને વિધાનસભા અધ્યક્ષ શ્રી રમણભાઇ વોરાની પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો રંગારંગ પ્રારંભ અમદાવાદમાં કરાવ્યો હતો.
રાજ્યપાલશ્રી
ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલીએ સૂર્યનારાયણની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ જેમ સમાજજીવનની પણ ઉર્ધ્વગતિ સૌહાર્દ-સંવાદિતાનું પર્વ મકર સંક્રાંતિ છે તેમ જણાવ્યું છે.
રાજ્યપાલશ્રીએ વિવિધતામાં એકતા ધરાવતા આપણા સમાજમાં સૌ સાથે મળીને વિકાસ માટે ખભે ખભો મિલાવી કાર્યરત થાય તેની આવશ્યકતા વર્ણવતા ઉમેર્યું કે પતંગ-દોરી, પવન-સૂર્યની જેમ સંવાદિતા સાધીને જ આપણે જીવનની ઉંચાઇઓ પાર કરી શકીશું.
રાજ્યપાલશ્રીએ ઉત્તરાયણ પર્વ અને ૨૦૧૭ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પણ આ અવસરૈ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પતંગની ઉંચી ઉડાન જેમ સાડા ૬ કરોડ ગુજરાતીઓની શકિત-સામર્થ્ય-સૂઝબૂઝથી રાજ્ય વિકાસની પણ વૈશ્વિક ઉડાન ભરી રહ્યું છે.
તેમણે રાજ્ય સરકારના સૌના સાથ સૌના વિકાસના ધ્યેય મંત્ર સાથે જીવ માત્ર પ્રત્યે સંવેદનાની અનૂભૂતિ કરાવતા કરૂણા અભિયાન સંગે આ ઉત્તરાયણ પર્વ સૌ સમાજ વર્ગો અનોખી રીતે મનાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૩થી પતંગોત્સવ ઉજવવાની પરંપરા શરૂ કરીને પ્રકૃતિ સાથે તાદાત્મ્યનો, ગ્લોબલ વોર્મિંગ સામે પર્યાવરણ જાળવણી સાથે વિકાસનો નવો માર્ગ દેશ-દુનિયાને દર્શાવ્યો છે.
તેમણે વાયબ્રન્ટ સમિટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ગુજરાત આ સમિટની ઉત્તરોતર સફળતાને પગલે ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન, દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે તેના આધાર ઉપર વિકાસની ક્ષિતિજો આપણે પતંગની ઉંચી ઉડાન જેમ આંબવા પ્રતિબધ્ધ છીએ.
શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉત્તરાયણનું પર્વ આકાશમાં પતંગના નિર્મળ રંગોની સૌનું જીવન ખુશાલીના રંગોથી ભરનારું બને તેવી શુભેચ્છા પાઠવી હતી.
પ્રવાસન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ-પરંપરા ઉત્સવની ઉજવણીની પરંપરા છે. રાજ્ય સરકારે પ્રવાસનને ઉદ્યોગનો દરજ્જો આપ્યો છે, જેના પરિણામે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં ૧૮ ટકાની વૃધ્ધિ થઇ છે.
તેમણે જણાવ્યું કે, પતંગોત્સવને ઉજવવાની શરૂઆત શાહીબાગ ખાતેથી નાના પાયે શરૂઆત થઇ હતી અને આજે લોકચાહનાને પરિણામે મોટા પાયા પર આપણે પતંગોત્સવ ઉજવી રહ્યા છીએ. પતંગ ઉદ્યોગને લીધે ૧ લાખ લોકોને રોજગારીના અવસર પ્રાપ્ત થાય છે.
આ અવસરે ઋષિકુમારોએ સૂર્યવંદના તથા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના બે હજાર બાળકોએ યોગ નિદર્શન રજુ કર્યું હતું. અમદાવાદ પોળથી પતંગ સુધીની થીમ પર આધારિત સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ આ પ્રસંગે રજૂ કરવામાં આવી હતી.
પતંગોત્સવના આ અવસરે મંત્રીશ્રીઓ સર્વશ્રી પ્રદિપસિંહ જાડેજા, નિર્મલાબેન વાધવાણી, વલ્લભભાઇ કાકડિયા, કેશાજી ચૌહાણ, સંસદીય સચિવ શ્રી બાબુભાઇ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી ભુષણભાઇ ભટ્ટ, સુરેશભાઇ પટેલ, રાકેશભાઇ શાહ પ્રવાસન નિગમના ચેરમેન શ્રી કમલેશભાઇ પટેલ, મેયરશ્રી ગૌતમભાઇ શાહ, સચિવશ્રીઓ સર્વશ્રી એસ.જે.હૈદર, વી.પી.પટેલ, પ્રવાસન કમિશનર શ્રી એન. શ્રીવાસ્તવ, મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશકુમાર, કલેકટરશ્રી અવંતિકાસીંઘ તથા પદાધિકારી-અધિકારીઓ ઉત્સવપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat