Latest News

ગુજરાતમાં સંભવિત કોરોના વેવનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ

    રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ : ડરવાની નહીં પણ કાળજી સતર્કતા રાખવી જરૂરી : આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ

    કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગરથી આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ સહભાગી થયા

    ……………………….

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યમાં કોરોના વાયરસના સંભવિત નવા વેરિઅન્ટની સ્થિતિ અને તે માટે આરોગ્યતંત્રની સજ્જ્તાની સર્વગ્રાહી સમિક્ષા હાથ ધરી હતી.

    આ બેઠક પૂર્વે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્યમંત્રીશ્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સમગ્ર દેશની સ્થિતિનો તાગ મેળવવાની સાથે આરોગ્ય મંત્રીશ્રીઓના સુઝાવ પણ સાંભળ્યા હતા.

    આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે આ બંને બેઠક અંગેની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત કોરોના વેવનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ છે. રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે ત્યારે કોઇએ ડરવાની નહીં પણ કાળજી રાખવાની જરૂર છે. રાજ્યમાં હાલ ૩૩ ટકા નાગરિકોએ જ કોરોના પ્રિકોશનના ડોઝ લીધા છે તે વધારીને ૧૦૦ ટકા વેક્સિનેશન થાય તે માટે મહાનગરો સહિતના વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાશે.

    મંત્રીશ્રીએ કહ્યુ હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે કોરોનાના તમામ વેવમાંથી હેમખેમ પસાર થવામાં સફળતા મેળવીને દેશને કોરોનાના પ્રકોપથી બચાવ્યો છે. દેશમાં તૈયાર થયેલી કોવિશીલ્ડ અને કોવેક્સિન રસીના બંને ડોઝ લેવાથી ભારતીયોમાં રોગ પ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.

    મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે આગામી તા. ૨૭મી ડિસેમ્બરના રોજ તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાશે જેમાં હોસ્પિટલની ક્ષમતા ચકાસવી, ઓકસિજન સુવિધા અને બેડની એવેલીબીલીટી તથા દર્દીઓને એટેન્ડ કરવાની તૈયારીઓ ચકાસવામાં આવશે. મોકડ્રીલ બાદની સંકલિત માહિતી COWIN INDIA PORTAL  ઉપર મુકવામાં આવશે.

    આરોગ્ય મંત્રી શ્રી પટેલે કહ્યુ હતું કે, ગુજરાતના અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે ૧૦૦ ટકા થર્મલ સ્ક્રીનીંગ કરાશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના દિશાનિર્દેશન મુજબ એરપોર્ટ ઉપર ર% રેન્ડમ ચેક કરવામાં આવશે તેમજ સ્વૈચ્છિક RTPCR માટેની વ્યવસ્થા પણ યાત્રિકોનો સમય ન બગડે તે રીતે કરવામાં આવશે.

    મંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું કે તજજ્ઞોના મતે BF 7ના સંક્રમણના દર મુજબ ૧ વ્યકિત ૧૬ વ્યકિતને સંક્રમિત કરી શકે તેવી સંભાવના છે. પરંતુ તે માટેનો મૃત્યુદર દરેક દેશ અને ખંડ મુજબ અલગ અલગ છે. અત્યાર સુધીમાં આ વેરિયન્ટના ભારતમાં કુલ ૪ કેસ નોંધાયા છે જેમાંથી ગુજરાતમાં જુલાઇ, સપ્ટેબર અને નવેમ્બર–૨૦૨૨માં કુલ ત્રણ કેસ નોધાયા હતા. જેમાં બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થતો હતો. આ તમામ કેસ હોસ્પિયલમાં દાખલ થયા વિના હોમ આઇસોલેશનમાં જ રીકવર થયા છે.

    હાલ રાજયમાં કોરોનાના અંદાજે દૈનિક પાંચ જ કેસ નોંધાય છે. ગુજરાતમાં હાલ દૈનિક ૧૦,૦૦૦ ટેસ્ટીંગ થાય છે જરૂર પડેતો ક્ષમતા વધારાશે.

    આરોગ્ય મંત્રીશ્રીએ ગુજરાતની જનતાને અપિલ કરતાં કહ્યું હતું કે જેને કોરોના વેક્સિનના બે ડોઝ અને પ્રિકોશન ડોઝ લીધો છે તેને કોરોનાના આ નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી પણ કાળજી લેવી જરૂરી છે.  રાજ્યમાં વખતોવખત કોરોના અંગે જરૂરી તમામ ગાઇડલાઇન જાહેર કરાશે. એટલું જ નહિ, કેન્દ્ર સરકારની વખતો વખતની માર્ગદર્શિકાનું પણ યોગ્ય રીતે અનુસરણ કરાશે. કોરોનાથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા જનતાને આરોગ્ય મંત્રીશ્રી પટેલે અનુરોધ કર્યો હતો.

    આ પત્રકાર પરિષદમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ તેમજ ડૉ.અતુલ પટેલે કોરોના સંદર્ભે જરૂરી વિગતો આપી હતી.

    Source: Information Department, Gujarat