ઉદ્યોગ-વેપાર-શિક્ષણ-બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રમાં સાથે મળીને વધુ સુદ્રઢ સંબંધો વિકસાવવા મુખ્યમંત્રીશ્રીએ ઉત્સુકતા વ્યકત કરી
આત્મનિર્ભર ભારતની પ્રધાનમંત્રીશ્રીની નેમ સાથે મળી સાકાર કરીએ : શ્રી ભૂપેન્દ્ર પટેલ
ઓસ્ટ્રેલિયાની માઇન ટેકનોલોજી-ઇલેકટ્રીક વ્હીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રોની તજજ્ઞતાના ગુજરાતને લાભ માટે પરામર્શ-ચર્ચા
વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યું નિમંત્રણ:-
મુખ્યમંત્રીશ્રીને ઓસ્ટ્રેલિયા મુલાકાત માટે ઓસ્ટ્રેલિયન હાઇકમિશનરે આમંત્રણ આપ્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત સ્થિત ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર શ્રીયુત બેરી ઓ’ફેરેલે ગાંધીનગરમાં લીધી હતી
મુખ્યમંત્રીશ્રીએ વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયા-ગુજરાત સાથે મળીને આગળ વધે તથા સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બને તે માટેની ઉત્સુકતા આ બેઠકમાં ચર્ચા-પરામર્શ દરમ્યાન વ્યકત કરી હતી.
તેમણે પ્રધાનમંત્રીશ્રીની આત્મનિર્ભર ભારતની નેમ આ સંબંધોના સેતુથી પાર પાડવા પણ નેમ દર્શાવી હતી.
તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના આગવા વિઝનની ફલશ્રુતિ રૂપે નિર્માણ પામેલા સ્ટેચ્યુ ઓફ યુનિટિની ખાસ મુલાકાત લેવા ઓસ્ટ્રેલિયન હાઇકમિશનરને અનુરોધ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર શ્રી બેરી ઓ’ફેરેલે માઇનીંગ ટેકનોલોજી, ઇલેકટ્રીક વ્હીકલના બેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયન તજજ્ઞતાનો લાભ ગુજરાતને મળે તે માટે પણ ફળદાયી વિચાર-વિમર્શ કર્યો હતો.
ભારતની નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિ અંતર્ગત જે નવિન તકો ઉપલબ્ધ થઇ છે તે સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઝની ગુજરાતમાં સ્થાપના માટેની સંભાવના અંગે પણ તેમણે ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વૈશ્વિક ઓળખ બનેલા વાયબ્રન્ટ સમિટની શૃંખલામાં ઓસ્ટ્રેલિયાની સહભાગીતાનો ઉલ્લેખ કરતાં આગામી વાયબ્રન્ટ સમિટ-ર૦રરમાં પણ જોડાવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
ઓસ્ટ્રેલિયન હાઇકમિશનરશ્રીએ મુખ્યમંત્રીશ્રીને ઓસ્ટ્રેલિયા મુલાકાતનું નિમંત્રણ આપ્યું હતું.
આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુંબઇ ખાતેના ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ શ્રીયુત પીટર ટ્રશવેલ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા, ઇન્ડેક્ષ-બી ના મેનેજિંગ ડિરેકટર શ્રીમતી નિલમ રાની પણ જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ઓસ્ટ્રેલિયન હાઇકમિશનરને સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ સ્મૃતિભેટ રૂપે આપી હતી.
Source: Information Department, Gujarat