મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સરળ-સહજ સ્વભાવ અને સામાન્યમાં સામાન્ય માનવીની સમસ્યા-રજુઆતો પ્રત્યે સંવેદનશીલતા દાખવનારા મૃદુ છતાં મક્કમ મુખ્યમંત્રી તરીકે જન માનસમાં ઉભરી આવ્યા છે.
રાજ્યશાસનનું જનસેવા દાયિત્વ સતત બીજીવાર સંભાળ્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ સરકારના વિભાગો, જિલ્લા તંત્રવાહકોને જન ફરિયાદો-રજુઆતોના ત્વરિત નિવારણ માટે સ્પષ્ટ સૂચનાઓ આપેલી છે.
એટલું જ નહિ, હવે તો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વયં ગામો-નગરોની ઓચિંતી મુલાકાત લઇ લોકોને પ્રત્યક્ષ મળી, લોકો વચ્ચે બેસી તેમની રજુઆતો સાંભળવાનો નવતર અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રી આ અભિગમ અન્વયે કોઇપણ જાતના પૂર્વનિર્ધારીત કાર્યક્રમ કે સૂચનાઓ સિવાય ગામોમાં જઇ પહોંચે છે અને લોક રજુઆતો કાને ધરે છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આ જનસંવેદના અભિગમને આગળ ધપાવતાં શનિવારે સવારે મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સાથે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપૂરા અને વડાસણ તથા વિહાર ગામે ઓચિંતા જ જઇ પહોંચ્યા હતા.
ગ્રામજનો મુખ્યમંત્રીશ્રી અને મુખ્ય સચિવશ્રીને પોતાના ગામમાં લોકપ્રશ્નો સાંભળવા સ્વયં આવેલા જોઇને અચંબિત થયા હતા.
આ ગામોમાં મુખ્યમંત્રીશ્રીએ લોકો વચ્ચે બેસીને, ગ્રામજનોને પ્રત્યક્ષ મળીને તેમની કોઇ સમસ્યા, દુવિધા હોય તો કહેવા જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગામના વડીલો, વરિષ્ઠ નાગરિકો, યુવાઓ, શિક્ષકો, ગ્રામીણ માતાઓ વગેરે સાથે વાતચીતનો દૌર આરંભ્યો અને લોકપ્રશ્નો જાણ્યા હતા.
આ ગામના લોકોએ ગામમાં ખેતરોમાં પાકને ઢોર-ઢાંખરથી બચાવવા કાંટાળી તારની વાડ માટે, પશુ દવાખાનામાં વધુ સુવિધા માટે, લાયબ્રેરી શરૂ કરવા માટે તેમજ બે ગામોના તળાવો લીંક કરી તેના પાણી ખેતી-સિંચાઇ માટે આપવા અને ગામની હાઇસ્કૂલના મેદાન માટે જગ્યા ફાળવવા જેવી રજુઆતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ કોઇ જ હિચકિચાટ વિના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ બધી જ રજુઆતો સંદર્ભે મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર અને મુલાકાત દરમ્યાન સાથે રહેલા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભી ગૌતમ, પ્રાંત અધિકારી, મામલતદાર વગેરેને ત્વરિત અને વાજબી નિવારણ માટેની સ્થળ પરજ સૂચનાઓ આપી હતી.
શ્રી ભૂપેન્દ્ર પટેલે વિહાર ગ્રામ પંચાયત ઘરની મુલાકાત લીધી હતી અને ગામમાં હનુમાનજી મંદિરમાં દર્શન પણ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ લોકહિત સંવેદનાપૂર્ણ અભિગમની સૌ ગ્રામજનોએ પ્રસંશા કરી હતી.
સરકાર સામે ચાલીને ગામડાની સમસ્યા જાણવા આવે તેવું સુશાસન શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં સાકાર થયું છે તેવી સુખદ લાગણી ગ્રામજનોએ વ્યક્ત કરી હતી.
Source: Information Department, Gujarat