મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી અંતર્ગત અમદાવાદના દરિયાપુરની નવા તળીયાની પોળના રહીશો સાથે કરી હતી.
મુખ્યમંત્રીશ્રી પતંગ ઉડાવીને અને તલ સાંકળી,સિંગ ચીકી વગેરેનો પણ આસ્વાદ માણીને પોળના રહીશોના ઉલ્લાસમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, સમગ્ર દેશમાં આ તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. આ તહેવાર કોઈપણ જીવ માટે ધાતક ન બને તેનું પણ આપણે સૌએ ધ્યાન રાખવાનું છે.
ચાઈનીઝ દોરી પર ગુજરાતમાં પ્રતિબંધ છે ત્યારે જો કોઈ ચાઈનીઝ દોરી વેચતું જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી એ આપણા સૌની જવાબદારી છે એવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.
દરિયાપુર ખાતે મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં મુખ્યમંત્રીશ્રી સાથે દરિયાપુરના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ,કોર્પોરેટર શ્રીઓ આગેવાનો તેમજ રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat