વિધાનસભા અધ્યક્ષા સહિત મંત્રીશ્રીઓ–ધારાસભ્યોએ પણ આપી શ્રદ્ધાંજલિ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભારતના ક્રાંતિ સંગ્રામના ક્રાંતિવીર અને ગુજરાતના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૪મી જન્મતિથીએ ભાવસભર અંજલિ અર્પણ કરી હતી.
શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિધાનસભા પોડિયમમાં સદ્દગત શ્યામજી કૃષ્ણ વર્માના તૈલચિત્ર સમક્ષ શ્રદ્ધાસુમન અર્પણ કરીને કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.
પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશની ધરતી પર રહીને ભારત માતાની સ્વતંત્રતા માટેની લડતમાં આગવું પ્રદાન કર્યુ હતું. તેમણે સ્થાપેલા ઇન્ડીયા હાઉસમાં વીર સાવરકર સહિત અનેક ક્રાંતિવીરોએ આશ્રય લઇને મા ભારતીના મુક્તિ સંગ્રામની પીઠીકા રચી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભારત માતાના સપૂત અને કચ્છની ધરાના પનોતાપુત્ર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મતિથી ભાવાંજલિ અર્પણ કરી તે અવસરે વિધાનસભા અધ્યક્ષા ડૉ. શ્રીમતી નિમાબહેન આચાર્ય પણ તેમની સાથે જોડાયા હતા.
રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ સર્વશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, રાઘવજીભાઇ પટેલ, જગદીશ વિશ્વકર્મા, દેવાભાઇ માલમ સહિત ધારાસભ્યો, સાંસદશ્રીઓ અને વિધાનસભા સચિવાલયના અધિકારીઓ, અગ્રણીઓએ પણ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને અંજલિ અર્પણ કરી હતી.
Source: Information Department, Gujarat