જગતજનની અંબાજીની કૃપાથી કોરોનાની ત્રીજી લહેર આવે જ નહિ તેવી માં ચરણોમાં પ્રાર્થના કરતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ બને અને સૌના સુખ સમૃદ્ધિ આરોગ્ય સુખાકારી જળવાઇ રહે તેવી કૃપા આશિષ માં અંબાજી વરસાવે તેવી વાંછના કરતા શ્રી વિજયભાઈ રૂપાણી
……….
મા અંબાના આશીર્વાદથી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તેવી મનસા થી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શનિવારની વહેલી સવારે આદ્યશકિત ધામ અંબાજી મંદિરમાં માતાજીની આરતી કરી સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃધ્ધિ અને સલામતિ માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રીમતી અંજલિબહેન રૂપાણી સાથે આદ્યશકિત મા અંબેના દર્શન અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવ્યા બાદ વધુ જનહિતના કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી તેમણે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, મહત્તમ વેક્સિનેશનથી કોરોનાની ત્રીજી લહેરને અટકાવી શકાશે અને ‘હારશે કોરોના, જીતશે ગુજરાત’નાં મંત્રને આપણે સૌ સાથે મળીને ચરિતાર્થ કરી શકીશું.
ધારાસભ્ય શ્રી શશીકાંતભાઇ પંડ્યા, બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, આસી.કલેક્ટરશ્રી પ્રશાંત જીલોવા, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ. જે. ચાવડા, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણ સહિત અગ્રણીઓ, અધિકારીઓ અને માઇભક્તો આ દર્શન પૂજનમાં મુખ્યમંત્રીશ્રી સાથે ઉપસ્થિત રહ્યા હતાં.
Source: Information Department, Gujarat