મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આગામી ૩૧-ઓકટોબર સરદાર પટેલ જ્યંતિએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાષ્ટ્રને અર્પણ થનારી સરદાર સાહેબની વિરાટત્તમ પ્રતિમા વિશ્વના સૌથી ‘‘ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ના લોકાર્પણ પૂર્વે સરદાર સાહેબનો એકતા અને અખંડિતતાનો સંદેશ ગામેગામ ઘરે ઘરે ગુંજતો કરવા બે તબક્કામાં યોજાનારી એકતા યાત્રાની વેબ સાઇટનું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યુ હતું.
Ektayatra.comની આ વેબ સાઇટમાં એકતા યાત્રાના હેતુઓ ઉદ્દેશ્ય અને વિગતવાર કાર્યક્રમોની માહિતી ઉપલબ્ધ થવાની છે.
‘‘એક ભારત શ્રેષ્ઠ ભારત’’ના સ્વપ્નદ્રષ્ટા લોહપુરૂષ સરદાર સાહેબના રાષ્ટ્ર માટે સમર્પણ અને યોગદાનને જન-જન સુધી ઉજાગર કરવા ઓકટોબર અને નવેમ્બર માસ દરમયાન રાજ્યના ૧૦ હજારથી વધુ ગામોમાં આ એકતા યાત્રા વિશેષ રથ સાથે યોજાશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્વાટન એક સંભારણું બને તેવા ભવ્ય કાર્યક્રમ, સરદાર પટેલના સંદેશને હાલના જનજીવનમાં તેની અગત્યતા સાથે લોકો સુધી પહોંચાડવા, સક્ષમ અને અખંડ ભારત માટે ધાર્મિક સંવાદિતાનો સંદેશ પ્રસરાવવો અને સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવવી તેમજ જ્ઞાતિ ધર્મથી પર રહી રાષ્ટ્રવાદ કેળવવાના વિષયોને આવરી લઇ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ એકતા યાત્રા દરમ્યાન સરદાર સાહેબના જીવન કવન અને યોગદાન વિષયક નિબંધ સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધા, ચર્ચા સ્પધાર્ઓ યોજાશે તેમજ વિશેષ રથ સાથે રાષ્ટ્રીય એકતા અંતર્ગત વિડીયો પણ પ્રદર્શિત કરાશે.
આ વેબસાઇટ લોન્ચિંગ વેળાએ ગૃહના અધિક મુખ્ય સચિવ એ.એમ. તિવારી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat