મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગણતાંત્રિક રાષ્ટ્ર કઝાકસ્તાનની ઓનરરી કોન્સ્યુલેટ કચેરીનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતાં ગુજરાત જેવા લીડર સ્ટેટમાં આ કચેરી ભારત કઝાકસ્તાનના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઇ આપશે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભારત-કઝાકસ્તાન વચ્ચે સાંસ્કૃતિક, આર્થિક, વાણિજ્યીક અને સ્ટ્રેટેજિક તેમજ શૈક્ષણિક જેવા અનેક ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને સમન્વય વધુ પ્રબળ બનશે.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરના સેકટર-૮માં આ ઓનરરી કોન્સ્યુલેટ કચેરીનો પ્રારંભ કઝાકસ્તાનના રાજદૂત શ્રીયુત બૂલાત સરસેનબાયેવ અને નવનિયુકત ઓનરરી કાઉન્સેલ શ્રી દિલીપ ચંદન તેમજ આમંત્રિતોની ઉપસ્થિતીમાં કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સાથે જણાવ્યું કે, ભારત અને કઝાકસ્તાન બેય દેશોએ યુરેનિયમ જેવા અતિ સંવેદનશીલ અને સ્ટ્રેટેજિક મિનરલની ઉપલબ્ધિ માટે જે એમ.ઓ.યુ. કર્યા છે તેનાથી વિશ્વાસ અને પ્રતિબધ્ધતાના નવા કિર્તિમાન સ્થાપિત થયા છે.
તેમણે ભારત-કઝાકસ્તાન વચ્ચે ર૦૧૬ સુધીમાં ૪પ જેટલા બાય લેટરલ કોલોબરેશન MoU થયા છે તેને પણ એક સિધ્ધી રૂપ ગણાવ્યા હતા.
શ્રી વિજયભાઇ રૂપાણીએ આગામી વાયબ્રન્ટની નવમી શૃંખલા ર૦૧૯ના જાન્યુઆરીમાં યોજાય તે વેળાએ કઝાકસ્તાનને તેમાં ભાગ લેવા અને ઉચ્ચસ્તરીય ડેલિગેશન મોકલવા આમંત્રણ પાઠવ્યું હતું.
તેમણે ઉમેર્યુ કે, કઝાકસ્તાન ભારતના પશ્ચિમી સમૂદ્રતટ ઉપર જેટી નિર્માણ કરવા ઇચ્છુક છે. આ જેટી કઝાકસ્તાનના અર્થતંત્રને વેગ આપશે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ૪૦ જેટલા નાના-મોટા બંદરનો વ્યાપક લાભ લેવા પણ કઝાકસ્તાનને અનુરોધ કર્યો હતો.
શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા-માર્ગદર્શનથી સપ્ટેમ્બર-ર૦૧૮માં ભારત-કઝાકસ્તાનની સેનાની સંયુકત મિલીટરી એકસરસાઇઝથી સુરક્ષા ક્ષેત્રે પણ મિત્રતાનો નાતો દ્રઢ થયો છે એમ ઉમેર્યુ હતું.
કઝાકસ્તાનના રાજદૂત શ્રીયુત બૂલાતે આ ઓનરરી કોન્સ્યુલ કચેરી ગુજરાતમાં શરૂ થવાથી કઝાકસ્તાનના હોલીસ્ટીક ગ્રોથમાં નવું પરિમાણ ઉમેરાશે તેમ જણાવ્યું હતું.
તેમણે કઝાકસ્તાનમાં યૂરેનિયમ ક્ષેત્રની જે વિપૂલ સંભાવનાઓ છે તેમાં ભારત સાથે સંબંધો વિકસાવીને બેય દેશો માટે વિન-વિન સિચ્યુએશન નિર્માણ કરવાની દિશામાં આગળ વધવાની પણ નેમ દર્શાવી હતી.
વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં કઝાકસ્તાનના ઊદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓ સાથેનું ડેલિગેશન ભાગ લેશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
નવનિયુકત ઓનરરી કોન્સ્યુલ શ્રી દિલીપ ચંદને સૌનો આભાર વ્યકત કર્યો હતો.
Source: Information Department, Gujarat