Latest News

મુખ્‍યમંત્રીશ્રીએ પશ્‍ચિમ ઝોનની કચેરી અને પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય નગરગૃહ સહિત રૂા.૧૦૨ કરોડના વિકાસ કામોનું કર્યું લોકાર્પણ : ખાતમુહૂર્ત

       મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું કે, રાજયમાં ઝડપભેર શહેરીકરણ વધી રહયું છે, લોકો રોજી-રોટી અને આવક માટે શહેરોમાં આવી રહયાં છે. રાજય સરકાર આ લોકોને તમામ સુખસુવિધાઓ પૂરી પાડવા સંકલ્‍પબધ્‍ધ છે અને રાજયના શહેરોને ડીજીટલથી લઇને તમામ પ્રકારની શ્રેષ્ઠતમ આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરવાનું રાજય સરકારે આયોજન કર્યું છે. વિકાસ આયોજનના અમલીકરણમાં પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીની એકાત્‍મ માનવવાદની વિચારધારાને  હાર્દમાં રાખીને, છેવાડાના માનવીઓનું જીવન સુખસુવિધાજનક બને તેની સર્વોચિત કાળજી લેવામાં આવી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

        શહેરોને રહેવા અને જીવન માણવાલાયક બનાવીએ એવો અનુરોધ કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, કોર્પોરેશનના સાધનો ટાંચા છે ત્‍યારે શહેરી જરૂરીયાતો પૂરી કરવા લધુત્તમ સાધનસ્‍ત્રોતોનો મહત્‍તમ  લાભ મળે એ રીતે વિનયોગ કરવો જરૂરી છે. વિવાદ નહીં સંવાદ અને માનવી ત્‍યાં સુવિધાનો અભિગમ રાખીને શહેરોને શ્રેષ્‍ઠતમ બનાવવાની મુખ્‍યમંત્રીશ્રીએ હિમાયત કરી હતી.

        મુખ્‍યમંત્રીશ્રીએ, નવનિર્મિત સભાગૃહ ના પ્રાંગણમાં એકાત્‍મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીની આદમકદ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને પુષ્‍પાંજલિ આપી હતી. તેમણે નિર્વાણ દિવસને અનુલક્ષીને પંડિતજીને ભાવસભર આદરઅંજલી આપી હતી. પંડિતજીએ માનવી કેન્‍દ્રમાં હોય એવી મૂલ્‍ય નિષ્‍ઠ રાજનીતિની દિશા ચીંધી અને સાદુ જીવન – ઉચ્‍ચ વિચારનું માર્ગદર્શન આપ્‍યું એવી લાગણી વ્‍યકત કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે દીનદયાળ વિચારધારાના હાર્દમાં મૂલ્‍યનિષ્‍ઠ રાજનીતિ અને છેવાડાના માનવીનો સર્વાંગી ઉત્‍કર્ષ છે અને રાજય સરકાર તેમની આ વિચારધારાને મૂર્તિમંત કરવા, આ વિચારધારાને જોડીને રાજયનો વિકાસ કરવા સંકલ્‍પબધ્‍ધ છે.

        તેમણે છેવાડાના માનવીના ઉત્‍કર્ષ અને સુખસુવિધાઓને ધ્‍યાનમાં રાખીને આવાસ સહિત વિવિધ વિકાસ આયોજનો ઘડવા માટે વડોદરા મહાનગરપાલિકાને બિરદાવતાં જણાવ્‍યું કે, અંત્‍યોદયના વિચારો સાકાર થાય અને છેવાડાના માનવીને તમામ સુખસુવિધાઓની ખાત્રી મળે એજ સ્‍માર્ટ સીટીનું પ્રથમ લક્ષણ ગણાય.

        મુખ્‍યમંત્રીશ્રીએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત રૂા.૧૦૨ કરોડ ઉપરાંતની રકમના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં પશ્‍ચિમ ઝોનની કચેરી અને પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય સભાગૃહની નવી ભેટોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોની ચાવીઓએ અર્પણ કરવામાં આવી હતી. તેમણે નવલખી મેદાન ખાતે સત્‍યમ શિવમ સુન્‍દરમ સમિતિ દ્વારા ધારાસભ્‍યશ્રી યોગેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શિવોત્‍સવના ભાગરૂપે યોજવામાં આવેલું કલા પ્રદર્શન નિહાળ્યું હતું અને અવનવી પાઘડીઓના સંગ્રાહક અવંતિલાલ ચાવલા સહિત કલાકારોને પ્રોત્‍સાહિત કર્યા હતા. તેમણે અકોટા વિસ્‍તારના ધારાસભ્‍ય સીમાબેન મોહિલએ સતત લોકસંપર્ક જાળવવાની એક નવીનતમ પહેલના રૂપમાં શરૂ કરેલા જનહિત કાર્યાયલને ખુલ્‍લું મૂકયું હતું. તેમણે વડોદરાના કલા-સંસ્‍કૃતિના ઉજ્જવળ વારસાને યાદ કરવાની સાથે, કલાકારોને કલા પ્રવૃત્તિઓથી  શહેરને ધમધમતું રાખવાનો અનુરોધ કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઇ ડાંગર, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્‍યશ્રીઓ, નિગમ અધ્‍યક્ષો અને પદાધિકારીઓ તેમની સાથે રહયા હતા.

        રાજય સરકાર સમાજના છેવાડાના માનવીની ચિંતા કરી સંવેદનશીલતા અને નિર્ણાયકતા સાથે જનજન સુધી જનસુવિધા અને જનસખાકારીના કામો પહોંચાડી રહી છે. તેવી લાગણી વ્‍યકત કરતાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે જણાવ્‍યું કે, સંસ્‍કારી અને કલાનગરી  વડોદરાની સ્‍માર્ટ સીટીમાં પસંદગી થતાં શહેરના વિકાસની નવી ક્ષિતિજો ખુલી છે. તેમણે શહેરીજનોની સુખસવિધામાં વધારો કરતા વિવિધ વિકાસકામોના નિર્માણ બદલ મહાનગરપાલિકાની ટીમને અભિનંદન આપ્‍યા હતા.

        પ્રારંભમાં સૌનો આવકાર કરતા મેયરશ્રી ભરતભાઇ ડાંગરે જણાવ્‍યું હતું કે મહાનગરપાલિકા દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસ કાર્યોના લાભ પહોંચાડીને પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયના વિચારો મૂર્તિમંત કર્યા છે. વડોદરા શહેરે વિકાસની નવી ઉંચાઇઓ સર કરવા સાથે લોકપ્રશ્‍નોનો સુપેરે નિકાલ કર્યો છે. જેમાં નગરજનોનો સાથ અને સહકાર સાંપડી રહયો છે. તેમણે નાગરીકોના નિર્ધારથી શહેરને સ્‍વચ્‍છ બનાવવા સૌ સાથે મળીને પ્રયાસ કરવા અને સ્‍વચ્‍છતા અભિયાનમાં નાગરીકોને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

        આ અવસરે ધારાસભ્‍યો સર્વશ્રી જીતુભાઇ સુખડિયા, રાજેન્‍દ્રભાઇ ત્રિવેદી, મનીષાબેન વકીલ, સીમાબેન મોહિલે, વુડાના ચેરમેનશ્રી એન.વી.પટેલ, અન્‍ન આયોગના ચેરમેનશ્રી ભૂપેન્‍દ્ર લાખાવાલા, અગ્રણી શ્રી શબ્‍દશરણ બ્રહ્મભટ્ટ, શ્રી ભાર્ગવ ભટ્ટ, પૂર્વ મેયરો, નાયબ મેયરશ્રી યોગેશ પટેલ સહિત મહાનગરપાલિકાના હોદ્દેદારો, નગર સેવકો, મ્‍યુનિ.કમિશનર ર્ડા. વિનોદ રાવ, લાભાર્થીઓ સહિત વિશાળ સંખ્‍યામાં નગરજનો હાજર રહયા હતા.

Source: Information Department, Gujarat